આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોઽર્જુન ।
સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મતઃ ॥૩૨॥
આત્મ-ઔપમ્યેન્—પોતાની સમાન; સર્વત્ર—સર્વત્ર; સમમ્—સમાનરૂપે; પશ્યતિ—જોવે છે; ય:—જે; અર્જુન—અર્જુન; સુખમ્—સુખ; વા—અથવા; યદિ—જો; વા—અથવા; દુ:ખમ્—દુઃખ; સ:—તેવા; યોગી—યોગી; પરમ:—પરમ સિદ્ધ; મત:—માનવામાં આવે છે.
BG 6.32: હું તેમને પરમ સિદ્ધ યોગી માનું છું કે જેઓ સર્વ જીવંત પ્રાણીઓમાં વાસ્તવિક સમાનતાનું દર્શન કરે છે અને અન્યના સુખો અને દુઃખોને પોતાના ગણીને પ્રતિક્રિયા આપે છે.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
આપણે આપણા શરીરના સર્વ અંગોને પોતાના માનીએ છીએ અને તેમાંના કોઈ એકને પણ નુકસાન થાય તો તે અંગે એક સમાન ચિંતિત રહીએ છીએ. આપણે નિર્વિવાદપણે અને ખાતરીપૂર્વક એ માનીએ છીએ કે આપણા કોઈપણ અંગને થતી હાનિ એ આપણને સ્વયંને હાનિ કરવા સમાન છે. એ જ પ્રમાણે, જે લોકો સર્વ પ્રાણીઓમાં ભગવાનનું દર્શન કરે છે, તેઓ અન્યના સુખ અને દુઃખને પોતાના જ ગણે છે. તેથી, આવા યોગીઓ સર્વ આત્માઓના શુભચિંતક હોય છે અને તેઓ સર્વના શાશ્વત કલ્યાણ અંગે પ્રયાસ કરે છે. આ પરમ સિદ્ધ યોગીનું સમ-દર્શન (સમદર્શિતા) છે.